સુરતના ભીમરાડ ગામે બાઈક રેલીનું માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશભાઈ મોદીએ સ્વાગત કર્યું
- Praja Pankh
- Oct 26, 2021
- 1 min read
ગાંધીજીએ દાંડીયાત્રામાં ભીમરાડ ખાતે જંગી સભા સંબોધીને આઝાદીની લડત મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું હતું: પૂર્ણેશભાઈ મોદી
પ્રજાપંખ સુરતઃમંગળવાર:- આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કચ્છના લખપતથી નીકળેલી રેલીનું ઐતિહાસિક ભાગ એવા ભીમરાડ ખાતે માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી સહિતના ગ્રામવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
સમગ્ર વિશ્વમાં એકતાનો સંદેશો પહોચાડવાના આશયથી નીકળેલી મોટરસાયકલ રેલી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરીને આજે ભીમરાડ ખાતે આવી પહોચી હતી. જયાં ગાંધી સ્મારક ખાતે બાપુની પ્રતિમાને સુતરની આટી પહેરાવીને આદાંરાજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ભીમરાડ ગામના લોકોએ આઝાદીની લડતમાં ઐતિહાસિક ભૂમિકા નિભાવી હતી. મહાત્મા ગાંધીજીએ દાંડીયાત્રા દરમિયાન ભીમરાડ ખાતે જંગી સભા સંબોધીને દેશવાસીઓમાં આઝાદીની લડત મજબુત બનાવવાનું આહ્વાન કર્યું હતું. અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભાઈ પટેલની ૩૧મી ઓકટોબરના રોજ જન્મજયંતિના અવસરે એકતાનો સંદેશો જનજન સુધી પહોચે તેવા આશયથી દેશના વિવિધ ભાગોમાંથી બાઈક રેલી યોજાઈ રહી છે. કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં સમગ્ર ભારતભરમાંથી એકતાના સંદેશા સાથે આવેલ રેલીઓ એકતા પરેડમાં ભાગ લેશે.
આ પ્રસંગે બાઈક રેલી સાથે DySP પી.એમ દેસાઈએ રેલીમાં થયેલા અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમમાં સર્વોદય સ્કૂલ અને ભીમરાડ નગર શિક્ષણ સમિતિના શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી અજય તોમર, જોઈન્ટ પોલિસ કમિશનરશ્રી શરદ સિંઘલ, અગ્રણીશ્રી બળવંત પટેલ, શ્રી પરિમલ દેસાઈ, યોગેશ ભાઈ પટેલ, કરણ પટેલ અને ખુબ જ મોટી સંખ્યામાં મહાનુભાવો સંતો, સ્કુલ નાં બાળકો, લોકો તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments