સાયણની જીવનરક્ષા હોસ્પિટલ ને ઑક્સિજન પ્લાન્ટ અર્પણ કરાયો
- Praja Pankh
- Jun 13, 2021
- 2 min read
ઓલપાડનાં સ્યાદલા ગામનાં એન.આર.આઇ. મિત્રો દ્વારા સાયણની જીવનરક્ષા હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરાયો આ ભાવના જ શ્રેષ્ઠ ભાવના છે. બીજા માટે સેવા કરવી માનવ ધર્મ છે. ( 'સેવા પરમો ધર્મ' જેવાં સંસ્કારો આપણી ભારતીયતાને સતત ઉજાગર કરે છે. - કિરીટભાઈ પટેલ )
સચીન : આજે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકારો હોય, સ્થાનિક એકમો હોય, પંચાયતો હોય, જનપ્રતિનિધિ હોય કે પછી સિવિલ સોસાયટી. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કોરોનારૂપી વૈશ્વિક મહામારીથી બચવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. અત્યારે આપણું સંપૂર્ણ સામર્થ્ય કોરોનાથી બચવામાં લગાવવાનું છે એમાં કોઈ બેમત નથી.
કોરોના વાયરસનાં કારણે સમગ્ર વિશ્વ જાણે કે થંભી ગયું છે. આ આપત્તિની ઘડીમાં માનવતા અને કરૂણાનાં ઉત્તમ ઉદાહરણો ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોવા મળ્યા. સેવા કરવામાં ગુજરાતીઓ વિદેશમાં રહીને પણ આવી વિકટ ઘડીમાં પોતાનું યોગદાન આપવાનું નથી ચૂકતા. આવું જ કંઈક સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સ્યાદલા ગામે જોવા મળ્યું. અહીંના અમેરિકા તેમજ કેનેડા જેવાં દેશોમાં વસતાં એન.આર.આઇ. મિત્રોએ મુશ્કેલીમાં મુકાયેલા કોરોના સંક્રમિત ગ્રામ્ય વિસ્તારનાં પરિવારોની સંભાળ લેવાની જવાબદારી ઉપાડી પોતાનું વતન પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું.
કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનને અભાવે ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમિત થયેલ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા. આ મુશ્કેલીનાં નિવારણ માટે સ્યાદલા ગામનાં એન.આર.આઇ. કે જેઓ અમેરિકા અને કેનેડામાં વસવાટ કરે છે તેમણે અત્રેની જીવનરક્ષા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ માટે રૂપિયા ૧૮,૮૧,૦૦૦/- ઉપરાંત આઈ.સી.યુ. મોનીટર માટે સ્વ. છીતુભાઈ લલ્લુભાઈ પટેલ પરિવાર, સ્યાદલા તરફથી રૂપિયા ૫૦,૦૦૦/- કેતનભાઇ સુમનભાઈ પટેલ પરિવાર, સ્યાદલા તરફથી રૂપિયા ૫૦,૦૦૦/- તેમજ નીતિનભાઈ હસમુખભાઈ પટેલ હસ્તક સ્યાદલા તરફથી રૂપિયા ૧,૫૦,૦૦૦/- મળી કુલ ૨૧,૩૧,૦૦૦/- નું માતબર દાન આજરોજ સ્યાદલા ગામનાં અગ્રણી કિરીટભાઈ જયંતિભાઈ પટેલ તથા અન્ય આગેવાનોનાં હસ્તે એન.આર.આઈ. પરિવાર વતી જીવનરક્ષા હોસ્પિટલનાં પ્રમુખ રાકેશભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને વસ્તુ અને રોકડ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હોસ્પિટલ કેમ્પસમાં ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મૂકીને આનંદ અનુભવતા જીવનરક્ષા હોસ્પિટલનાં પ્રમુખ રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્યાદલા ગામનાં વતનપ્રેમી એન.આર.આઈ. મિત્રો દ્વારા કરાયેલી મદદ થકી કોરોના સંક્રમિત વ્યક્તિઓની મદદ થશે અને અમેરિકા અને કેનેડાથી મોકલવામાં આવેલ આ સહાય અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડશે. અંતમાં તેમણે કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં હોસ્પિટલને યોગ્ય સમયે મદદરૂપ થવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
Comments