શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુરનો ૪૬મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો.....
- Praja Pankh
- Oct 28, 2021
- 1 min read
પ્રજાપંખ - મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું પંખીના માળા જેવું રળિયામણું ગામ આદર્શ વાઘજીપુર ગામ. આ ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. જે હજારો આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પૂર્વ ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં વસતા તે તે મુમુક્ષુ જીવો પર અપાર કરુણા કરી અને આજથી ૪૬ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ મંદિરની રચના કરી હતી અને એમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રી અને સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.
આજે પંચમહાલ અને દાહોદના સવાસો કરતાં પણ વધારે ગામોમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આશ્રિતો પ્રભુ ભજન કરી અને ભગવાનને રીઝવવા ભક્તિ કરી રહ્યા છે. વર્ષમાં જ્યારે પાટોત્સવ દિન આવે ત્યારે ભક્તોનું ઘોડાપૂર ભગવાનના દર્શન, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનાં સમીપ દર્શન માટે ઉત્સુકતાથી ઉમટે છે. આજે પાટોત્સવ દિને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો ૪૬ મો પાટોત્સવ વિધિ, અમૃત પાક, મોહનથાળ, મેસુબ વગેરે પકવાનો અને ફરસાણથી રસસભર અન્નકૂટ ધરાવી આરતી ઉતારી હતી. આ પ્રસંગે હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, યુવા શિબિર વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ શ્રવણ વગેરે અનેક ધાર્મિક કાર્યક્રમો આજના દિવસે ઉજવવામાં આવ્યા હતા. જેમાં પણ હજારો હરિભક્તોએ લાભ લીધો હતો.
Comentarios