શ્રીમતી ઝંખનાબેન પટેલ ચોર્યાસી તાલુકાના ધારાસભ્ય, ના હસ્તે....
- Praja Pankh
- Jun 23, 2022
- 1 min read
સચિન અને પારડી કણદે ગામની પ્રાથમિક શાળાઓમાં ધો.૧માં ૧૩૦ બાળપુષ્પોનું કુમકુમ તિલક કરી નામાંકન કરાવતા ધારાસભ્ય ઝંખનાબેન પટેલ.
લોકભાગીદારી સાથે શાળાના બાળકોને સ્કુલબેગ, નોટબુક સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ
પ્રજાપંખ સચિન : સુરત:ગુરૂવાર: રાજય સરકાર દ્વારા તા.૨૩ થી ૨૫ જુન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય ૧૭મો 'શાળા પ્રવેશોત્સવ'નો શુભારંભ થયો હતો. જેના ભાગરૂપે આજે પ્રથમ દિને ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલના હસ્તે ચોર્યાસી તાલુકાના સચીન પ્રાથમિક શાળા અને પારડી કણદેની આશ્રમ શાળા તથા પારડીકણદે પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી ૧૩૦ બાળકોનું નામાંકન કરીને શાળાઓમાં પ્રવેશ અપાવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કારણે આજે બાળકોનું ૧૦૦ ટકા નામાંકન થઈ રહ્યું છે. ગામનું એક પણ બાળક નામાંકન વિના રહે તે માટે સૌ કોઈને સાથે મળીને કાર્ય કરવાની હિમાયત કરીને જીવનમાં શિક્ષણના મહત્વને સમજાવ્યું હતું. આ તકે તેમણે દીકરો-દીકરીને એક સમાન રીતે શિક્ષણ આપવાની સૌ ગ્રામજનોને હિમાયત કરી હતી.
ધારાસભ્યશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને દાતાઓના સહયોગથી ૩૫,૦૦૦ની રોકડ સહાય ઉપરાંત સ્કુલબેગ, નોટબુક, સહિતની શૈક્ષણિક કીટ આપી ભુલકાઓને આવકાર્યા હતાં. સચીન ગામની શાળામાં ધો.૧ માં ૪૬ અને આંગણવાડીમાં ૧૮ તેમજ પારડીકણદે ગામની આશ્રમ શાળામાં ધો.૧માં ૬ તથા પ્રાથમિક શાળામાં ૮૪ અને આંગળવાડીમાં ૨૬ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં ધો.૧માં પ્રવેશપાત્ર એક પણ બાળક શાળાપ્રવેશથી વંચિત ન રહી જાય તેવા લક્ષ્ય સાથે જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ત્રણ દિવસ દરમિયાન ૦૯ તાલુકાના ૧૧,૯૯૪ બાળકોએ ધો.૧ માં પ્રવેશ મેળવ્યો છે.
આ પ્રસંગે વોર્ડ ૩૦ નાં નગર સેવકો, પદાધિકારીઓ અને શાળાના આચાર્ય, શિક્ષકો, આંગણવાડીના સભ્યો, વાલીઓ-ગ્રામજનો અને પ્રવેશ મેળવનાર બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Comments