વાર્તા વર્ષની ઉજવણીના ભાગરૂપે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે 'વાર્તાથી વાવેતર' બાળવાર્તાનો બાળમહોત્સવ ..
- Praja Pankh
- Oct 15, 2022
- 1 min read
શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન અને સાંઈરામ દવેની ટીમે સ્વ.ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓને બાળગીતોને આંગિક્રમ, વાચિક્રમ થકી ફરી જીવંત કર્યા
પ્રજાપંખ સુરત: શુક્રવાર: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-સુરત દ્વારા વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં વાર્તા વર્ષની ઉજવણીના ભાગરૂપે 'વાર્તાથી વાવેતર' બાળવાર્તા-બાળમહોત્સવ યોજાયો હતો. જેમાં શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન અને સાંઈરામ દવેની ટીમે ‘મૂછાળી મા’ ની ઉપમા પામેલા 'બાળસાહિત્યના બ્રહ્માસ્ત્ર' શ્રી ગિજુભાઈ બધેકાની ૧૦૦ વર્ષ જૂની વાર્તાઓને આંગિક્રમ, વાંચિક્રમ અને બાળગીતો થકી ફરી જીવંત કરી વાચા આપી હતી.
બાળકેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકાની શિક્ષણ પદ્ધતિનો 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦' માં પણ સમાવેશ કરાયો છે. જે સંદર્ભે શ્રી સાંઈ રામ દવેએ વાર્તાના શાસ્ત્ર થકી પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકોની સર્જનાત્મકતા અને મૌલિકતા ખીલવવા માટે વાર્તા અને બાળગીતોનું મહત્વ સમજાવ્યું હતું. તદ્દન નવા કોન્સેપ્ટ સાથે એક રસપ્રદ વાર્તાના માધ્યમથી વિસરાતી જતી વાર્તાની વિરાસતને જીવંત રાખવાનો સંદેશ તેમણે આપ્યો. ૧૦૦ વર્ષ પહેલા ગિજુભાઈ દ્વારા વાર્તાના માધ્યમથી કંડારાયેલા જીવનના મહત્વના સંદેશને અહી ઉપસ્થિત શિક્ષકોને પોતાની શિક્ષણ પદ્ધતિમાં સમાવેશ કરવા માટે પ્રત્સાહિત કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં પ્રખ્યાત બાળગીતો જેવા કે, પગ મારા નાના, મમ્મી મને મામા ને ઘેર જવા દે, પોપટ ચકલા પારેવા, વાર્તા રે વાર્તા, એક બિલાડી જાડી જેવા અનેક બાળગીતો પર શ્રોતાઓએ તાલ મિલાવી બાળપણની યાદોને ફરી જીવંત કરી હતી. વાર્તાઓ અને જોડકણાં થકી ચારિત્ર્યના મહત્વના સંદેશ પણ જ્ઞાન ગમ્મત સાથે આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ડી.સી.પી. હર્ષદ મહેતા, યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો.કે.એન.ચાવડા તેમજ મોટી સંખ્યામાં સુરત, નવસારી તેમજ ડાંગ જિલ્લાના તાલીમાર્થીઓ, આંગણવાડીના શિક્ષકો અને અધ્યાપકો હાજર રહ્યા હતા.
Commentaires