top of page

વિદેશો સાથેના સંબંધોનેમળી મજબુતી, ભારતની આઝાદીનો પર્વ દેશમાં જ નહીં વિશ્વમાં ઉજવાયો...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 17, 2022
  • 2 min read

વિશ્વભરમાં ભારતની આઝાદીનો જશ્ન, વિદેશ સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા

પ્રભાતફેરી, પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી


પ્રજાપંખ નવી દિલ્હી,17 ઓગસ્ટ: ભારત સહિત સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોએ સ્વતંત્રતા દિવસના અવસરે ત્રિરંગો લહેરાવીને અને રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતો સાથે ભારતની આઝાદીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. આ પ્રસંગે પ્રભાતફેરી, પ્રદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. ચીનમાં ભારતીય રાજદૂત પ્રદીપ કુમાર રાવતે ભારતીય દૂતાવાસમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. આ રંગારંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બેઇજિંગ સ્થિત ભારતીય પ્રવાસીઓએ ભાગ લીધો. ધ્વજવંદન બાદ, પ્રદીપ કુમાર રાવતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રજોગ સંબોધન વાંચ્યું હતું. બાદમાં ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

સિંગાપોરમાં, પેટ્રોલિંગ જહાજ INS સરયુના 16 સભ્યોના બેન્ડે આ પ્રસંગે ભારતીય ઉચ્ચાયોગમાં દેશભક્તિના ગીતો વગાડીને ઉજવણી કરી હતી. ભારતીય નૌકાદળની આ પહેલથી અહીં સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઇ ગયું હતું.

*મૃતક ગોરખા સૈનિકોની વિધવાઓ અને તેમના પરિવારજનોને સન્માન મળ્યું*

નેપાળમાં કાઉન્સેલર શ્રી પ્રસન્ના શ્રીવાસ્તવે રાષ્ટ્રધ્વજ ફરકાવી76મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ મુર્મુનું રાષ્ટ્રજોગ સંબોધન વાંચવામાં આવ્યું હતું. દૂતાવાસે ભારતીય સશસ્ત્ર દળોના મૃતક ગોરખા સૈનિકોની વિધવાઓ અને તેમના પરિવારોને NPR 2.65 કરોડની ચૂકવણી કરીને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર ઓફ એમ્બેસી અને કાઠમંડુની કેન્દ્રીય વિદ્યાલય શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને વિવિધ કાર્યક્રમોની રજૂઆત કરી હતી. વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ ક્વિઝના વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેથી વિદેશી ભારતીય યુવાનો અને વિદેશી નાગરિકોને ભારત વિશેના તેમના જ્ઞાનમાં વધારો કરવા પ્રોત્સાહિત કરી શકાય.

ઇઝરાયેલમાં ભારતના રાજદૂત, સંજીવ સિંગલાએ ભારતીય સમુદાયના લગભગ 300 લોકોની હાજરીમાં 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ત્રિરંગો ફરકાવ્યો હતો. કામકાજનો દિવસ હોવા છતાં ભારતીય યહૂદી સમુદાયના લોકો, ભારતીય વિદ્યાર્થીઓ અને એનઆરઆઈ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા સમગ્ર ઇઝરાયેલમાંથી આવ્યા હતા. ભારતીય રાજદૂતે રાષ્ટ્રપતિ મુર્મુનો સંદેશ વાંચ્યા બાદ ભારતીય સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે તમારી સહાયથી અમે ઇઝરાયેલ સાથેના અમારા વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવવા પ્રયત્નો કરીશું.

સ્વતંત્રતાની ઉજવણી વચ્ચે ભારતે શ્રીલંકાના નૌકાદળને ડોર્નિયર એરક્રાફ્ટ સોંપ્યું છે. આ એરક્રાફ્ટનો ઉપયોગ મેરીટાઇમ સર્વેલન્સ એટલે કે સમુદ્રી દેખરેખમાં થાય છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને ભારતીય નૌકાદળના વાઇસ ચીફ વાઇસ એડમિરલ એસ. એન. ઢોરમાડે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

*પીએમ મોદીએ ટ્વિટ કરીને ભારતીયો અને વિદેશી મિત્રોનો આભાર માન્યો*

ભારતની સાથે સમગ્ર વિશ્વમાં ભારતીય સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, વિદેશમાં વસતા ભારતીયોની સાથે વિદેશી મિત્રોએ પણ ખભે ખભા મિલાવીને ભારતની આઝાદીના પર્વની ઉજવણી કરી. આ અવસર પર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરીને વિવિધ દેશોમાં હાજર ભારતીયો અને વિદેશી મિત્રોનો આભાર માન્યો. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને ભારતના સ્વતંત્રતા દિવસ પર ઇઝરાયેલના વડા પ્રધાન યાયર લેપિડનો આભાર માનતા લખ્યું કે અમને વિશ્વાસ છે કે અમારો દેશ #IndiaIsraelભાગીદારીના મહત્વાકાંક્ષી વિઝનને સાકાર કરશે.


ભારતના વિદેશ પ્રધાને માલદીવના વિદેશ પ્રધાનને ભારતના સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે #IndiaMaldivesની વિશેષ ભાગીદારી આગળ વધતી રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. ભારતના પાડોશી દેશ નેપાળનો પણ વિદેશમંત્રીએ આભાર માન્યો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને લખ્યું કે ભારતના સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ માટે નેપાળના વિદેશ મંત્રી ડૉ. નારાયણ ખડકાનો આભાર. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ દેશોનો આભાર માન્યો. તેમણે નેપાળ, ભૂટાન, મોરેશિયસ, નામીબિયા, માલદીવ, શ્રીલંકા, બાંગ્લાદેશ સહિતના તમામ દેશોનો ભારતના સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ માટે આભાર માન્યો હતો.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page