વેક્સીન મૈત્રી: ભૂટાન, માલદીવ બાદ ભારત નિર્મિત વેક્સીન બાંગ્લાદેશ અને નેપાળ પહોંચી
- Praja Pankh
- Jan 21, 2021
- 1 min read
એર ઇન્ડિયાના પ્લેનથી કોવિડશીલ્ડના 20 લાખ ડોઝ બાંગ્લાદેશ અને 10 લાખ ડોઝ નેપાળ પહોંચ્યા
આ મદદ ભારતની “નેબરહુડ ફર્સ્ટ” પોલિસી પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે
21 જાન્યુઆરી, નવી દિલ્હી: મિત્ર ધર્મ નિભાવીને ભારતે વૈશ્વિક મહામારી કોરોના સામે ઝઝુમી રહેલા પાડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળને કોરોના વેક્સીનનો પહેલો જથ્થો પહોંચાડી દીધો છે. મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એર ઇન્ડિયાના પ્લેન દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોવિડશીલ્ડ વેક્સીન આજે બપોરે બન્ને દેશોમાં પહોંચી ગઇ હતી. વેક્સીન મૈત્રી ડિપ્લોમેસી અંતર્ગત ભારતે ભેંટ તરીકે બાંગ્લાદેશને વેક્સીનના 20 લાખ અને નેપાળને 10 લાખ ડોઝ આપ્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે બાંગ્લાદેશ ભારત પાસેથી વેક્સીન પ્રાપ્ત કરનાર પ્રથમ દેશો પૈકી એક છે. તે ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેમાં બાંગ્લાદેશનું વિશેષ સ્થાન છે. તે સિવાય નેપાળ પણ ભારત સરકાર તરફથી ભેંટ તરીકે કોવિડ વેક્સીન મેળવનાર દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે.
મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે વેક્સીન વિતરણ બાંગ્લાદેશના લોકોને ભારત તરફથી એક ભેંટ છે. તાજેતરમાં જ 17 ડિસેમ્બર 2020ના આયોજિત વર્ચ્યુઅલ સમિટ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને ભરોસો આપ્યો હતો તેની આ પૂર્તિ છે. બન્ને દેશો વચ્ચે મજબૂત , જીવંત અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોનું આ પ્રતિબિંબ છે.
અગાઉ ભારતે પાડોશી દેશ ભૂટાન અને માલદીવને પણ કોરોના વેક્સીનનો પહેલો જથ્થો મોકલાવ્યો હતો. તેમાં ભૂટાનને દોઢ લાખ અને માલદીવને એક લાખ ડોઝ મોકલવામા આવ્યા હતા.
Commenti