''વેક્સિનને હા! એટલે કોરોનાની હાર''
- Praja Pankh
- Apr 13, 2021
- 1 min read
તા.૧૨મી સુધીમાં કુલ ૬,૯૮,૪૯૧ લોકોએ રસીકરણનો લાભ લીધો
-----------

સુરત શહેરમાં તા.૧૨મીના રોજ એક દિવસમાં ૧૫,૬૦૯ લોકો રસી મૂકાવી સુરક્ષિત થયાં
----------
૧૧ થી ૧૪ એપ્રિલ કોવિડ વેક્સિન મુકાવી "ટીકા ઉત્સવ"ને સફળ બનાવીએ
--------
સુરત:સોમવાર: કોરોના મહામારી સામે લડવા રસીકરણ અમોઘ શસ્ત્ર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન રસી મૂકાવીને 'રસીકરણ ઉત્સવ' ઊજવવા દેશવાસીઓને અપીલ કરી છે. જેના ભાગરૂપે સુરત શહેરના નાગરિકો સ્થાનિક પ્રશાસન અને વિવિધ સેવા સંસ્થાઓ આયોજિત રસીકરણ કેમ્પમાં તબક્કાવાર રસી મૂકાવી આ ઉત્સવમાં સહભાગી બની રહ્યા છે.
સુરત શહેર ખાતે હાલ વિવિધ કેમ્પ અને મહાનગરપાલિકા આયોજિત રસીકરણ સ્થળો પરથી રોજ અંદાજિત સરેરાશ ૧૪ થી ૧૫ હજાર જેટલા લોકો રસી મૂકાવી રહ્યા છે. ગત તા.૧૧મી સુધી કુલ ૬,૮૨,૮૮૨ લોકોએ રસી લીધી હતી. જ્યારે આજે તા.૧૨મીના રોજ એક જ દિવસમાં ૧૫,૬૦૯ લોકોએ રસી લઈ પરિવાર, સમાજ અને દેશને સુરક્ષિત કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે. આમ, તા.૧૨મી સુધીમાં કુલ ૬,૯૮,૪૯૧ લોકોએ રસીકરણનો લાભ લીધો છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ લોકોને કોવિડના નવા સ્ટ્રેઇન અને બીજી વેવથી બચવા કોવિડ પ્રતિરોધક વેક્સીનેશનને ખુબ ઉપયોગી ગણાવ્યું છે. તેમણે રસીકરણને લગતી તમામ અફવાઓથી દૂર રહેવાનો અનુરોધ કરી જણાવ્યું છે કે, તમારો ક્રમ આવે તે મુજબ વેક્સિન અવશ્ય મૂકાવો. આપની શારીરિક સમસ્યા અંગે તબીબોને પૂર્ણ જાણકારી આપો. બીજા ચરણ અંતર્ગત ૪૫ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિન ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વેક્સિન કેન્દ્રો, હોસ્પિટલના નામની યાદી જાણવા અને રજિસ્ટ્રેશન માટે મનપાની વેબસાઇટની મુલાકાત લેવા પણ તેમણે જણાવ્યું છે.
Comments