‘‘રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ’’ સુરત જિલ્લો તા.૫મી ઓગષ્ટ ‘‘કિસાન સન્માન દિવસ’’ ભાટીયા ગામે ઉજવયો
- Praja Pankh
- Aug 6, 2021
- 2 min read
ચોર્યાસી તાલુકાના પાંચ ગામોના ૨૭૧ ખેત વીજ જોડાણોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ: ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશપાલસિંહ
સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના ૨૦ લાભાર્થીઓને રૂ.૫.૩૫ લાખના લાભોનું વિતરણ
પ્રજાપંખ - મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભાટીયા ગામે અનાવિલ પાટીદાર હોલ ખાતે ગુજરાત યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ‘કિસાન સન્માન દિવસ’ સમારોહ યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે ચોર્યાસી, મહુવા, પલસાણા, માંડવી તાલુકાના કિસાન પરિવહન યોજનાના ૦૬, દેશી ગાય નિભાવ યોજનાના ૦૨, છત્રી યોજનાના ૦૪, તાર ફેન્સીંગ યોજનાના ૦૩, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજનાના ૦૫ લાભાર્થી મળી કુલ ૨૦ લાભાર્થીઓને રૂ.૫.૩૫ લાખના મંજૂરીપત્રો અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી શિશપાલસિંહે જણાવ્યું હતું કે, કિસાનોની આવક બમણી કરવાંના લક્ષ્યને સાકાર કરવા રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ગયા વર્ષથી સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત સાત યોજનાઓ ખેડૂતને આત્મનિર્ભર બનાવવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભાટિયા, સામડોદ, કછોલી, પોપડા અને કપલેથા એમ પાંચ ગામોના ૨૭૧ ખેડૂતોના વીજ ૨૭૧ ખેતી વીજ જોડાણોને આજથી સિંચાઈ માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે વીજળી મળતી થઈ હોવાનું જણાવ્યું હતું.
તેમણે સહાયની વિગત આપતાં કહ્યું કે, સાત યોજના અંતર્ગત શાકભાજીના છૂટક વિક્રેતાઓને વિનામૂલ્યે છત્રી યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦માં સુરત જિલ્લાના ૧,૫૨૪ લાભાર્થીઓને રૂ.૨૦.૭૯ લાખની સહાય આપવામાં આવી છે. રાજ્ય સરકારના સુશાસનના કારણે ખેતી, પશુપાલન, સિંચાઇ, રોજગાર, શિક્ષણ, ઉદ્યોગ, યોગ તેમજ મહિલા સશક્તિકરણ દરેક ક્ષેત્રે આજે ગુજરાત શિરમોર બની રહ્યું છે. વધુમાં તેમણે દિનચર્યામાં રોજિંદા ૧ કલાક યોગને સ્થાન આપી શતાયુ જીવન હાંસલ કરવાંનો અનુરોધ કરી આધ્યાત્મિક અને શારીરિક-માનસિક વિકાસ માધ્યમ હોવાનું અને ફિટનેસ અને સક્સેસ એક સિક્કાની બે બાજુ હોવાનું જણાવતાં યોગનું મહત્વ સમજાવ્યું હતું.
તેમણે ગુજરાતમાં ૧ લાખ યોગ પ્રશિક્ષણ કેન્દ્ર સ્થાપવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય હોવાનું જણાવી યોગથી સમૃદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતિ ઝંખનાબેન પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારી અને લોકડાઉનના વિકટ સમયમાં જગતના તાત એવા ખેડૂતોએ જરૂરિયાતમંદ લોકોના જઠરાગ્નિ ઠારવા માટે મોટા પ્રમાણમાં પોતાના ખેતરની શાકભાજી, અન્ન નિઃસ્વાર્થભાવે દાન આપ્યું હતું. કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતોને દિવસે વીજળી મળવાથી રાતના ઉજાગરાના દિવસો દૂર થયાં છે. સંવેદનશીલ સરકાર ખેડુતોની ચિંતા કરી સાત પગલા યોજનાના અનેકવિધ લાભો આપ્યા છે, જેથી ખેડુતો પગભર થયા છે. તેમણે સહકાર વિભાગને વિભાજીત કરી અલગ સહકાર મંત્રાલય કાર્યરત કરી સહકારી ક્ષેત્રને વિકાસનો માર્ગ કંડારવા બદલ કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા હતા.
પ્રારંભે સંયુક્ત ખેતી નિયામક શ્રી કે.એસ.પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી વિવિધ કૃષિલક્ષી યોજનાઓની વિગતવાર જાણકારી આપી હતી. ઉપસ્થિત સૌએ કચ્છથી રાજ્ય કક્ષાના કિસાન સન્માન દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ દિવ્યાબેન નાયક, ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી આશિતભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન ભાવિનીબેન પટેલ, સરપંચ માલતીબેન પટેલ સહિત સરપંચશ્રીઓ, ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-
Comentarios