ભારત રત્ન લતા મંગેશકરજીનો થયો સ્વર્ગવાસ..
- Praja Pankh
- Feb 6, 2022
- 2 min read
ચાહકો અને ગણ્યમાન લોકો માટે અંતિમ દર્શન માટે પ્રભુ કુંજ પેડર રોડ પર પાર્થિવ દેહ સાંજે ચાર વાગ્યા સુધી રાખવામાં આવશે અને સાંજે ૬:૩૦ કલાકે દિદીના પાર્થિવ દેહને શિવાજી પાર્ક ખાતે અગ્નિદાહ આપી પંચ મહાભૂત માં તેઓ વિલીન થશે
દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય શોક; સારવાર દરમિયાન તેમણે આ દુનિયાને જીવનના 92માં વર્ષે અલવિદા કહી.

સચીન પ્રજાપંખ : છેલ્લા એક મહિનાથી બ્રીચ કેન્ડી હોસ્પીટલ ખાતે આઈસીયુમાં દાખલ ભારત રત્ન લતા મંગેશકરજીનું લાંબી સારવાર બાદ નિધન થયું છે. લતા મંગેશકરજીનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી અનુસાર, 8 જાન્યુઆરી ના રોજ લતા મંગેશકરજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સારવાર દરમિયાન તેમણે આ દુનિયાને અલવિદા કહી છે. લતા મંગેશકરજીનો જન્મ ઈંદોર, મધ્ય પ્રદેશમાં થયો હતો. તેમના પિતા, પંડિત દિનાનાથ મંગેશકર કે જે ગોવાના ગોમાન્તક મરાઠા સમાજ કુટુંબ સાથે સંકળાયેલ હતાં, તેઓ એક શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા હતા. તેમની માતા શેવંતી (સુધામતી) દિનાનાથ ના બીજા પત્ની, જે થાલનેર, મહારાષ્ટ્રથી હતા. આ કુટુંબ હરદિકર અટક ધરાવતુ હતુ, ત્યારબાદ તેમના વતન ગોવામાં મંગેશી ગામ પરથી તેમની અટક મંગેશકર રાખી હતી. લતાજીનું બાળપણ નુ નામ "હેમા" હતુ. તેમના માતા - પિતાએ પછી તેમને લતા નામ આપ્યું હતું. વધુ જાણીએ તો તેમણે પાંચ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. તેઓ તેમના પિતા પાસેથી સંગીત શીખતા હતાં. ભારત સરકારે વર્ષ 2001માં તેમને ‘ભારત રત્ન’ (સૌથી વિષેશ નાગરિક સન્માન ) થી સન્માનિત કર્યા છે. લતા મંગેશકરજી માત્ર 13 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાની છાયા ગુમાવી હતી. ભાઇ – બહેનોની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. જેના કારણે તે શાળાએ જઈ શકી ન હતી. તેઓ માત્ર 2 દિવસ માટે જ સ્કૂલ ગયા હતાં. આ પછી લતાજીએ નાટકો અને કાર્યક્રમોમાં કામ કરવાનું શરૂ કર્યું જેથી તે ઘર પરિવારનું ગુજરાન ચલાવી શકે. લતા મંગેશકરજીએ 20 થી વધુ ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે. તે ભારતની પ્રથમ ગાયિકા છે જેમના નામે આ રેકોર્ડ છે. તેમણે 4 ફિલ્મફેર બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર એવોર્ડ, 2 ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ, ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અને અન્ય અસંખ્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લતા મંગેશકરજીના અચાનક નિધનથી સમગ્ર દેશ ગમગીન છે. દેશ વિદેશથી શોક સંદેશાઓ આવી રહ્યા છે. ફિલ્મ જગતે વસંત પંચમીના પર્વ સમયે હમેશાં માટે આવાઝની દુનિયાની કોકિલકંઠી સ્વરાંગીને ગુમાવી છે આ ખોટ હવે કોઇ પુરી નહી શકે. પ્રભુ એમના આત્મા શાંતી અર્પે એવી પ્રજા પંખ પરિવાર તરફથી પ્રાર્થના. . . .
Comentarios