બીઆરસી ભવન, ઓલપાડ ખાતે કોવિડ ૧૯ -આયુર્વેદિક પ્રતિકાર "ષષ્ટક" કોરોકેર કીટનું નિ:શુલ્ક વિતરણ
- Praja Pankh
- May 16, 2021
- 1 min read
વિશ્વ એક પરિવાર છે. પરિવાર વગર માણસની કલ્પના પણ અધૂરી છે. દુનિયા હાલ કોરોનાકાળમાંથી પસાર થઈ રહી છે ત્યારે દરેક વ્યક્તિમાં પરિવાર ભાવના જાગે એ ખૂબ જરૂરી છે. - પલ્લવી રાઠોડ

સચીન : સમાજની પરિકલ્પના પરિવાર વગર અધૂરી છે. પરિવારનું મહત્ત્વ, નવા સંકલ્પો, તેનાં પ્રત્યે જાગરૂકતા અને પડકારોને રેખાંકિત કરવા માટે દર વર્ષે 15 મી મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવામાં આવે છે. 'વસુધૈવ કુટુંબકમ્' જેવો ભાવક સંદેશો આખા વિશ્વને પહોંચાડવામાં ભારતનું બહુ મોટું યોગદાન રહ્યું છે.
આજે આખું વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે ત્યારે કોરોના વોરિયર્સ ગણાતાં આરોગ્યકર્મીઓ, સફાઈકર્મીઓ, પોલીસકર્મીઓ, શિક્ષણકર્મીઓ ઉપરાંત સમાજસેવી સંસ્થાઓ સમસ્ત સમાજનાં હિતાર્થે પોતાનું સર્વસ્વ જોખમમાં મૂકે છે. કોરોનાકાળનાં આવા વિકટ સમયે ઓલપાડ તાલુકાનાં કોરોના સંક્રમિત લોકોની વહારે પાર્લેપોઈન્ટ, સુરત સ્થિત સહાયમ્ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું હતું. આ ટ્રસ્ટનાં ઓનર પલ્લવીબેન રાઠોડ તથા તેમની ટીમે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડનાં સહયોગથી જરૂરિયાતમંદોને કોવિડ ૧૯ - આયુર્વેદિક પ્રતિકાર "ષષ્ટક" કોરોકેર કીટનું નિ:શુલ્ક વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે જોગાનુજોગ આજે જ્યારે વિશ્વ પરિવાર દિવસ છે ત્યારે આ સંસ્થાએ જરૂરિયાતમંદોને નિઃશુલ્ક આયુર્વેદિક કીટનું વિતરણ કરીને સાચા અર્થમાં જવાબદારીપૂર્વક એક પારિવારિક ભાવનાને ઉજાગર કરી છે જે આનંદની વાત છે.
તાલુકાનાં વિવિધ ગામોનાં લાભાર્થી ભાઈ-બહેનોએ આ નિ:શુલ્ક કીટ મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે પલ્લવીબેન રાઠોડ તથા કિરીટભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.
Comments