top of page

નવી સરકાર 'ગુડ ગવર્નન્સ'ના માધ્યમથી લોકોનો વિશ્વાસ સંપાદન કરશે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 15, 2021
  • 2 min read

સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જનપ્રતિનિધિઓ,સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓ સાથે બેઠક યોજાઈ


જનપ્રતિનિધિઓની રજૂઆતોનું સત્વરે નિરાકરણ કરવામાં આવશે: મુખ્યમંત્રી

સુરતઃપ્રજાપંખ - મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જનપ્રતિનિધિઓ, સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં જનપ્રતિનિધિઓએ કરેલી રજૂઆતોનું સત્વરે નિરાકરણ કરવામાં આવશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

નવી સરકાર, નવું મંત્રીમંડળ 'ગુડ ગવર્નન્સ'ના માધ્યમથી લોકોનો વિશ્વાસ સંપાદન કરશે એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, સુરત શહેર અને જિલ્લાના પેન્ડીંગ પ્રશ્નો, રજૂઆતો અને લોકલક્ષી સમસ્યાઓને ઉકેલવા પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

બેઠકમાં સાંસદો અને ધારાસભ્યશ્રીઓએ સુરત શહેરની આસપાસ આવેલા મોટા કોર્પોરેટ ગૃહો તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે સી.એસ.આર. ફંડની રકમનો સુરત જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે ઉપયોગ કરે તેવી વિશેષ રજૂઆત કરતાં આ અંગે રાજ્ય સરકાર યોગ્ય નિરાકરણ લાવશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત બેઠકમાં સુરતમાં બહોળી વસ્તી હોવાથી આવકના દાખલા, જરૂરી પ્રમાણપત્રો મેળવવામાં લોકોનો ધસારો ખુબ રહે છે. આ સંદર્ભે પ્રમાણપત્રો મેળવવામાં લોકોને પડતી મુશ્કેલી નિવારવા કલેકટર કાર્યક્ષેત્રના વિસ્તારમાં ઝોનવાઈઝ જનસેવા કેન્દ્રો શરૂ કરવાંની પણ રજૂઆત થઈ હતી, જેથી લોકોને સરળતાથી દાખલાઓ મળે અને ધસારાને નિવારી શકાય. આ ઉપરાંત, આવકના દાખલા અને અન્ય પ્રમાણપત્રો માટે ભાડાકરાર રજૂ કરવો પડતો હોય છે, સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને મકાનમાલિક દ્વારા ભાડાકરાર બનાવી આપવામાં આનાકાની કરવામાં આવતી હોવાથી એના સ્થાને સોસાયટીના પ્રમુખનું કે ધારાસભ્યનું રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવે તો ગરીબ અને મધ્યવર્ગીય પરિવારોને પડતી મુશ્કેલી દૂર કરી શકાય એમ જનપ્રતિનિધિઓએ રજૂઆત દરમિયાન કહ્યું હતું.

બેઠકમાં સુરતના વરાછા વિસ્તારમાં ચોમાસામાં ખાડી પૂરની સમસ્યા, વિધવા સહાયની બાકી અરજીઓ અને NFSA ના દાવા અરજીઓ, આધાર કાર્ડ કીટોની સંખ્યા વધારવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક પ્રતિભાવ આપતાં લોકોને સ્પર્શતી સમસ્યાઓ પર વિશેષ ધ્યાન આપીને સરકાર શક્ય તેટલી જનતાને સહાયરૂપ બનવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયા, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, મેયર ડો.હેમાલીબેન બોઘાવાલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી સહિત ધારાસભ્યશ્રીઓ, અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page