top of page

નવસારીના ભીનાર ગામના કોળી પટેલ પરિવારે...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 16, 2021
  • 3 min read

નવસારીના ભીનાર ગામના કોળી પટેલ પરિવારે બ્રેઈનડેડ સ્વજન આસ્તિકાબહેનના હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું

અમદાવાદનું ૨૭૭ કિ.મીનું અંતર ૧૦૦ મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલીની રહેવાસી ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કરાયું

મુંબઈનું ૨૯૫ કિ.મીનું અંતર ૧૧૦ મિનિટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી ૫૬ વર્ષીય મહિલામાં મુંબઈની મસીના હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

સુરતમાંથી હ્રદયના દાનની ૩૯મી અને ફેફસાના દાનની ૧૩મી ઘટના

સુરતઃગુરૂવારઃ સુરતે અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં આગવી પ્રતિષ્ઠા મેળવી છે. સુરતથી વધુ એક અંગદાનની ઘટનાએ લોકજાગૃત્તિ વધી રહી હોવાનું પ્રતિપાદિત કર્યું છે. તા.૧૪મી ડિસેમ્બરે નવસારીના ભીનાર ગામના કોળી પટેલ પરિવારે બ્રેઈનડેડ સ્વજન અસ્તિકાબહેનના હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે.

નવસારીના ભીનાર ગામના રહીશ અને નવસારી BAPS સ્વામિનારાયણ મંદિરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશભાઈ પટેલ તેમના ધર્મપત્ની આસ્તિકાબેન સાથે બાઈક ઉપર સવાર થઈને સંબંધીને મળવા નવસારી જતા હતા, ત્યારે ભીનાર નવસારી રોડ રેલ્વેબ્રિજ ઉતરતા આસ્તિકાબેન અકસ્માતે મોટરસાયકલ પરથી નીચે પડી ગયાં હતાં. રોડ પર પટકાતા તેઓ માથામાં ગંભીર ઈજાઓના કારણે બેભાન થઇ ગયાં હતાં. જેમને તાત્કાલિક નવસારીમાં યશફીન હોસ્પીટલમાં દાખલ કર્યા હતા, જ્યાં CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેને સુરતની INS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતાં. સારવાર દરમિયાન રિકવરીની કોઈ આશા ન જણાતાં ન્યુરોસર્જન ડૉ.અશોક પટેલ, ન્યુરોફિજીશિયન ડૉ.મનોજ સત્યવાણી, ઇન્ટેન્ટસિવીસ્ટ ડૉ.અંકિત ગજ્જર અને આર.એમ.ઓ. ડૉ.અક્ષય હજારીએ આસ્તિકાબેનને બ્રેનડેડ જાહેર કર્યા. ડોનેટ લાઈફ સંસ્થાએ પટેલ પરિવારને સ્વજનના અંગદાન માટે સમજાવતાં સૌએ સંમતિ આપી હતી.

સ્વ.આસ્તિકાબહેનના પતિ જિજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે, અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. કોઈને મદદ કરવાં માટે દાન કરવાની અમારી ક્ષમતા નથી. આજે જ્યારે મારી પત્ની બ્રેઈનડેડ છે, ત્યારે તેના અંગોના દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન થી મોટું દાન બીજું શું હોઈ શકે?

પરિવારે અનુમતિ આપતાં અમદાવાદની IKDRCના ડૉ.સુરેશ કુમાર અને તેમની ટીમે લિવર અને કિડનું, અમદાવાદની સિમ્સ હોસ્પિટલના ડૉ.ધવલ નાયક અને તેમની ટીમે હૃદયનું તથા મુંબઈની મસીના હોસ્પિટલના ડૉ.અમઝદ શેખ અને તેમની ટીમે આવી ફેફસાંનું દાન સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

સ્વ.આસ્તિકાબેનની બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બોટાદના ૩૨ વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાના ૨૫ વર્ષીય મહિલા કરાયું છે. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાલિતાણાના ૪૫ વર્ષીય વ્યક્તિનું અમદાવાદની IKDRC હોસ્પિટલમાં કરાયું છે. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલીના ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કરાયું છે. આ વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થતા તેનું હૃદય નબળું પડી જતાં હૃદયનું પમ્પીંગ ૧૨% થઈ ગયું હતું. છેલ્લા એક મહિનાથી તે હોસ્પિટલમાં દાખલ હતી. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની ૫૬ વર્ષીય મહિલામાં મુંબઈની મસીના હોસ્પિટલમાં કરાયું છે. આ મહિલાના ફેફસા કઠણ (પલ્મોનરી ફાઈબ્રોસિસ) થઇ જવાને કારણે તેને એન્ડ સ્ટેજ લંગ્સ ડિસીઝ હતો, અને તે આર્ટીફિશીયલ લંગ્સ (ECMO સપોર્ટ) ઉપર હતી.

હ્રદય, ફેફસા, કિડની અને લિવર સમયસર અમદાવાદ અને મુંબઈ પહોંચાડવા ત્રણ ગ્રીન કોરિડોર બનાવી સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના ઉમદા સહકારથી ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડવામાં આવ્યાં હતાં.

ગુજરાતમાં હૃદયદાનની ૫૫મી અને ફેફસાના દાનની ૧૭મી ઘટના છે. સુરતની ડોનેટ લાઈફ દ્વારા ૩૯ હૃદય અને ૧૩ જોડ ફેફસા દાન કરાવવામાં આવ્યા છે. આ સમય દરમિયાન ૫૪ કિડની, ૩૧, લિવર, ૧૩ હૃદય, ૨૨ ફેફસાં, ૧ પેન્ક્રીઆસ અને ૫૪ ચક્ષુઓ સહીત ૧૭૫ અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથના દાન મેળવી દેશ અને વિદેશના કુલ ૧૬૦ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૧૪ કિડની, ૧૭૬ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૯ હૃદય, ૨૬ ફેફસાં અને ૩૧૮ ચક્ષુઓ સહિત કુલ ૯૮૧ અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને ૮૯૮ વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.



 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page