ગંગાધરા, બારડોલી અને તરસાડીના કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણી
- Praja Pankh
- May 9, 2021
- 1 min read
આરોગ્ય મંત્રીએ દર્દીઓની ખબરઅંતર પૂછી ઝડપથી સ્વસ્થ થાય એવી શુભકામના વ્યક્ત કરી



સુરતઃરવિવાર: આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” અભિયાન અન્વયે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે ચરોતરીયા સમાજની વાડી સ્થિત કોવિડ કેર સેન્ટર, બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ રેફરલ કોવિડ સેન્ટર અને મહુવા તાલુકાના તરસાડીમાં માલીબા કોવિડ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્ય સુવિધાઓ અને દર્દીઓને અપાતી સારવાર અંગે જાતતપાસ કરી હતી. આરોગ્ય મંત્રીશ્રીએ કોવિડ વોર્ડમાં જઈને દર્દીઓની ખબરઅંતર પૂછી ઝડપથી સ્વસ્થ થાય એવી શુભકામના વ્યક્ત કરી હતી.

મંત્રીશ્રીએ પલસાણા, બારડોલી અને મહુવા તાલુકાના ગ્રામજનો, કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરના તબીબી સ્ટાફ, સ્વયંસેવકો અને કર્મયોગીઓ સાથે સંવાદ કરી તેમનું મનોબળ વધાર્યું હતું. ત્રણે આઈસોલેશન સેન્ટરોમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ દર્દીઓને જરૂરી પ્રાથમિક સુવિધાઓ, ભોજન, પાણી અને દવા સમયસર મળી રહે તે માટે જરૂરી સૂચના આપી હતી.
આ વેળાએ મંત્રીશ્રીએ માલીબા કેમ્પસ સ્થિત આઈસોલેશન સેન્ટર ખાતે દર્દીઓ માટે સફરજન, લીંબુ શરબત, છાશનું વિતરણ કર્યું હતું.
મંત્રીશ્રી સાથે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરી, અગ્રણી સર્વશ્રી દિપકભાઈ વસાવા, યોગેશભાઈ પટેલ, ભરતભાઈ રાઠોડ, જિગરભાઈ નાયક, હિતેન્દ્રસિંહ વાંસિયા, ચલથાણ સુગરના ચેરમેન કેતનભાઈ, જિલ્લા પંચાયત સદસ્યો, આરોગ્ય અધિકારીઓ જોડાયા હતા.
Comentários