કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરોડોના ખર્ચે ઓલપાડ તાલુકાના ગામોમાં વિકાસકાર્યોનું લોકાર્પણ
- Praja Pankh
- Apr 8, 2022
- 1 min read
ઓલપાડ તાલુકામાં કુપોષિત બાળકોને સેવાભાવી ગ્રામજનો દત્તક લેવા આગળ આવે: બાળકોને સુપોષિત કરવા પૌષ્ટિક આહાર સરકાર પૂરો પાડશે : કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
કૃષિ,ઊર્જા રાજ્યમંત્રીનું ઓલપાડ તાલુકાના તમામ ગામોને ઘરેલુ ગેસલાઈનથી જોડવાનું લક્ષ્ય
પ્રજાપંખ સુરતઃકૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભામાં સમાવિષ્ટ ૧૫ ગામોમાં અંદાજિત રૂ.૭ કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં નરથાણ ગામે રૂ.૬૩ લાખ, વેલુકમાં રૂ.૧.૨ કરોડ, કાસલા ખુર્દમાં રૂ.૩૩ લાખ, કાસલા બુજરંગ, સરસ, કુવાદ, કપાસીમાં રૂ.૮ લાખ, કાછોલમાં રૂ.૬૧.૫ લાખ, કુદિયાણામાં રૂ.૩૨ લાખ, દાંડીમાં રૂ.૨૮.૫૦ લાખ, લવાછામાં રૂ.૯૦ લાખ, આડમોરમાં રૂ.૩૫ લાખ, ભાંડુત, ડભારી, ટુંડા ખાતે ડામર, આર.સી.સી. રોડ, પેવર બ્લોક, ઓવારા, પ્રોટેક્શન વોલ, વાસ્મો અંતર્ગત પાણી પુરવઠાના કાર્યો, ગટરલાઈન, ગ્રામપંચાયતની પ્રોટેક્શન વોલ સહિતના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં વિકાસકાર્યોને રાજ્ય સરકારના સહયોગથી ગતિ મળી છે. તેમણે ઓલપાડ તાલુકામાં કુપોષિત બાળકોને સેવાભાવી ગ્રામજનો દત્તક લેવા આગળ આવે એવું આહ્વાન કર્યું હતું, અને ગ્રામજનોને પોતાના ગામના કુપોષિત બાળકોને બે મહિનામાં સુપોષિત કરવા જણાવી બાળકને સુપોષિત કરવા તમામ પૌષ્ટિક આહાર રાજ્ય સરકાર આપશે એમ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકાના તમામ ગામોને ઝડપભેર ગેસલાઈનથી જોડવાનું લક્ષ્ય હોવાનું જણાવી આગામી સમયમાં મકાઈમાંથી ઇથેનોલ બનાવવાની ફેક્ટરી ઓલપાડ અને સુરતમાં સ્થપાશે, જેનો સીધો લાભ મકાઈ ઉત્પાદન કરતાં ખેડૂતોને થશે તેમ કહ્યું હતું.
આ પ્રસંગે સુરત જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી યોગેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અમિતભાઈ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રીશ્રી કુલદીપભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક અગ્રણીઓ, સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
Comments