ઉધના-મગદલ્લા હાઈવે પર જનારા વાહનો રોંગ સાઈડ ન જઈ શકે તે માટે આશિષ હોટલ તરફથી ડિવાઈડર મૂકવા માંગ થઈ
- Praja Pankh
- Jul 22, 2021
- 2 min read
સ્થળ ચર્ચા બાદ એ.સી.પી એચ.ડી મેવાડાએ જણાવ્યુ હતું કે આજે સાંજે થનારી ઉચ્ચ અધિકારીઓની મિટીંગમાં ઉપરોક્ત તમામ બાબતોનું ધ્યાન ફરીથી દોરી સમસ્યાનું સમાધાન લાવવા પ્રયત્નો કરી ટ્રાફિક સમસ્યાને વધુ હળવી કરવા માટેનાં પ્રયાસો કરવામાં આવશે.

સચિન પ્રજાપંખ : સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારો પૈકી માજી સેક્રેટરી મયૂર ગોળવાલા, માજી પ્રમુખ નિલેશભાઈ ગામી, યુવા અગ્રણી ઉદ્યોગકાર નિરવ સભાયાએ મળીને ગત ડિસેમ્બર-2020થી સચિન જીઆઈડીસી ગેટ નં-1ની સામે થતાં ટ્રાફિક જામ અંગેની ફરિયાદો ઉચ્ચકક્ષાએ કરી હતી. જેમાં સૌથી પહેલાં ગેટ નં-1ની સામેના બ્રિજ નીચેથી યુ-ટર્ન આપવા સહિત ઉતારી પાડવામાં આવેલાં સાતવલ્લા બ્રિજની બાજુમાંથી પસાર થતાં સુડા નિર્મિત બ્રિજની રેલિંગ તોડી તેમાંથી આશિષ હોટલ તરફથી આવતાં તમામ વાહનોને સીધી એન્ટ્રી આપવામાં આવે તેવી રજૂઆતો કરી હતી. આ રજૂઆતોમાં મનપાના શહેરમંત્રી ભીખુભાઈ પટેલ તથા અન્યો પણ જોડાઈ જતાં યથાયોગ્ય જગ્યાએ અસરકારક રજૂઆતો કરાઈ હતી જેને પગલે યુ-ટર્નની જોગવાઈ અને સુડા નિર્મિત બ્રિજ ઉપરની રેલિંગ તોડી પાડવામાં આવતાં ટ્રાફિક સમસ્યા હળવી થઈ હતી. જે અનુસંધાને આજરોજ તા. 22મી-જૂલાઈએ એ.સી.પી એચ.ડી મેવાડા, ટ્રાફિક પી.આઈ જી.એલ ખરાડી સહિત શહેર સંગઠન મંત્રી ભીખુભાઈ પટેલ, વોર્ડ-30નાં મહામંત્રી મોહનભાઈ તથા મૂકેશસિંહ પરમાર, બુડિયાનાં રાહુલ પટેલ, તેમજ માજી સેક્રેટરી મયુર ગોળવાલા, માજી પ્રમુખ નિલેશભાઈ ગામી તેમજ અગ્રણી ઉદ્યોગકાર ફરિયાદી નિરવ સભાયા સહિતની ટીમે યુ-ટર્નવાળી જગ્યાની મુલાકાત લઈ તથા ઉધના-મગદલ્લા હાઈવે પર જનારા વાહનો રોંગ સાઈડ ન જઈ શકે તે માટે આશિષ હોટલ તરફથી ડિવાઈડર મૂકવા અંગેની ચર્ચા વિચારણાં કરી હતી. આ સિવાય યુ-ટર્ન વાળી જગ્યાએ સાઈન બોર્ડ મૂકવા તથા માટીવાળો કાચો રોડ પાકો ડામરનો બનાવવા સહિત ઝડપથી સાતવલ્લા બ્રિજની કામગીરી શરૂ થાય તેવી ચર્ચા વિચારણાંઓ મુલાકાત દરમિયાન થઈ હતી. એ.સી.પી એચ.ડી મેવાડાએ જણાવ્યું હતું કે આજે સાંજે થનારી ઉચ્ચ અધિકારીઓની મિટીંગમાં ઉપરોક્ત તમામ બાબતોનું ધ્યાન ફરીથી દોરી સમસ્યાનું સમાધાન લાવવા પ્રયત્નો કરી ટ્રાફિક સમસ્યાને વધુ હળવી કરવા માટેનાં પ્રયાસો કરવામાં આવશે એવું માજી સેક્રેટરી મયૂર ગોળવાલાએ જણાવ્યું છે.
Comments